આ જોડી એ માત્ર 17 મીનીટ મા લગ્ન કર્યા, કારણ જાણશો તો નવાઈ લાગશે
વડોદરા: લાખો રૂપિયાના ખર્ચા કરી દેખાડો કરવા અથવા દહેજ લીધા વગર રવિવારના રોજ શહેરના હરણીસ્થિત વાલમ હોલ ખાતે 17 મિનિટમાં રાજસ્થાનના યુવક અને રાજપીપળાની યુવતીના લગ્ન યોજાયા હતા, જેમાં પરિણીતાને માત્ર એક જોડી કપડામાં જ વિદાય આપવામાં આવી હતી.
કબીર પંથ સાથે જોડાયેલા તુષાર બરોટેએ જણાવ્યું હતું કે, હરણીસ્થિત વાલમ હોલ ખાતે સંત રામપાલજી મહારાજના સાંનિધ્યમાં 11 જુલાઈના રોજ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગ બાદ સંત રામપાલજીના જ શિષ્ય અને રાજસ્થાનમાં રહેતા હરીશ લોહાર જે ખાનગી કંપનીમાં લોજિસ્ટિક મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમના લગ્ન સંત રામપાલજીનાં જ શિષ્યા અને રાજપીપળા ખાતે રહેતાં રુચિ પાંડે સાથે કરવામાં આવ્યા હતા.
મહત્ત્વની વાત એ છે કે આ લગ્ન માત્ર 17 મિનિટમાં જ પૂરા કરી દેવામાં આવ્યા હતા, જેમાં માત્ર કબીર વાણીનો પાઠ કરવામાં આવતો હોય છે. 17 મિનિટના લગ્નમાં વર-વધૂ એકબીજાને હાર કે મંગળસૂત્ર નથી પહેરાવતા કે નથી 7 ફેરા લેવામાં આવતા. લગ્નબંધનથી બંધાવા માટે વર-વધૂ કોઈ વચનો પણ નથી લેતાં. આ લગ્નમાં કોઈ પંડિત કે બ્રાહ્મણ પણ બોલાવવામાં નથી આવતા. કબીર પંથ લગ્નમાં ખોટા ખર્ચા કરી દેખાડો કરવામાં માનતો નથી.
આ ઉપરાંત તેમના દ્વારા આયોજિત લગ્નમાં કોઈ દહેજ કે સામાન્ય મીઠાઈનો પણ ખર્ચો હોતો નથી. માત્ર કબીરવાણીના પાઠ દ્વારા સાદાઈથી 17 મિનિટમાં યુવક-યુવતીના લગ્ન કરી દેવાતા હોય છે. સંત રામપાલજીના દેશભરમાં હજારો શિષ્યો કોઈ ફાલતુ ખર્ચાં કર્યાં વગર કબીરવાણી દ્વારા લગ્ન કરતા હોય છે. જોકે આ પહેલાં તેઓ કોર્ટ મેરેજ કરી રજિસ્ટ્રેશન કરાવી લેતા હોય છે. વડોદરામાં છેલ્લાં 3 વર્ષમાં આવાં 15 લગ્ન થયાં છે.