તહેવારો પહેલા તેલ ના ભાવ મા ભડકો, જુલાઈ મા આટલો ભાવ વધ્યો
નવી દિલ્હીઃ કોરોના સંકટકાળમાં મોટાભાગની ખાદ્યચીજોના ભાવ વધ્યા છે, તેમાંય ખાદ્યતેલોના ભાવમાં તો રીતસરનો ભડકો થયો છે. આ વાત ખુદ સરકારે પણ સ્વીકારી છે. સરકારના જણાવ્યા મુજબ એક જુલાઇ મહિનામાં જ ખાદ્યતેલોના ભાવ ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 52 ટકા જેટલા વધી ગયા છે. તાજેતરમાં રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબે કહ્યુ કે, સરકારે કિંમતો વધતી રોકવા માટે દાળ અને ખાદ્યતેલો જેવા આવશ્યક ખાદ્યપદાર્થોના મામલે ઘણા પગલાંઓ લીધા છે.
મંત્રી દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ સિંગતેલની કિંમત સરેરાશ માસિક રિટેલ કિંમતમાં પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં જુલાઇમાં 19.24 ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે વાર્ષિક તુલનાએ જુલાઇ દરમિયાન સરસવ તેલની છુટક કિંમતમાં 39.03 ટકા, વનસ્પિતમાં 46.01 ટકા, સોયાતેલમાં 48.07 ટકા, સૂરજમુખીના તેલમાં 51.62 ટકા અને પામતેલની કિંમતોમાં 44.42 ટકાની વૃદ્ધિ થઇ છે. નવા આંકડાઓ 27 જુલાઇ 2021 સુધીના છે. મંત્રીએ કહ્યુ કે, ખાદ્યતેલોની કિંમતો નીચી લાવવવા માટે ક્રૂડ પામતેલ (સીપીઓ) પર જકાતમાં જૂન 30 જૂન 2021થી 30 સપ્ટેમ્બર 2021 સુધી 5 ટકાનો કાપ મૂકાયો છે. આ ઘટાડો સીપીઓ પર અસરકારક જકાતના દરને 35.75 ટકાથી ઘટાડી 30.25 ટકા કરી દીધો છે. તે ઉપરાંત રિફાઇન્ડ પામતેલ, પામોલિન પરની ઇમ્પોર્ટ ડ્યૂટીને 45 ટકાથી ઘટાડીને 37.5 ટકા કરી દેવામાં આવી છે. તેમણે કહ્યુ કે, રિફાઇન્ડ બ્લીચ્ડ ડિયોડોરાઇઝ્ડ (આરબીડી) પામતેલ અને આરબીડી પામોલિન માટે એક સંશોધિત આયાત નીતિ 30 જૂન 2021થી લાગુ કરાઇ છે, જે હેઠળ બંને તેલોને પ્રતિંબંધિતમાંથી મુક્ત શ્રૈણીમાં મૂકવામાં આવ્યા છે.
એક અન્ય પ્રશ્નના જવાબમાં ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રી સાધ્વી નારાયણ જ્યોતિએ કહ્યુ કે, સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન, ઇન્ડિયન વેજિટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ એસોસિએશન અને સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશનનો અમને પત્ર મળ્યો છે, જેમાં કથિત ઉલ્લંઘન કે મુક્ત વેપાર સમજૂતીના દૂરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ પત્રમાં નેપાળથી પામ/ સોયાબીન તેલની આયાતને રોકવા અંગે જણાવ્યુ છે. નોંધનિય છ કે ભારત પોતાની ખાદ્યતેલોની જરૂરિયાતના લગભગ 60-70 ટકા જથ્થાની આયાત કરે છે.