દર્દનાક અકસ્માતના મૃતકોની અંતિમયાત્રા નિકળી, સમગ્ર ગામમાં હૈટાફાટ રૂદન જોવા મળ્યું
નડિયાદ પાસેના એક્સપ્રેસ હાઇવે પર થયેલા દર્દનાક અકસ્માતમાં માતા-પુત્રી સહિત ભત્રીજી એમ ત્રણેય વ્યક્તિઓના જીવ ગયા છે. રાજસ્થાન ખાતે ચાર વર્ષના દિકરાની બાધા પુરી કરીને પરત મહોળેલ ફરતાં સોની પરિવારને ઘર નજીક જ યમરાજે દસ્તક દીધી હતી. બીજા દિવસે અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય વ્યક્તિઓની અંતિમયાત્રા એકીસાથે નીકળતાં આખા ગામમાં ગમગીની છવાઇ ગઇ છે.
નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગતરોજ બનેલ ગોજારી દુર્ઘટનામાં એક જ કુટુંબના ત્રણ વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલાયા છે. નડિયાદના મહોળેલ ખાતે રહેતો સોની પરિવાર 4 વર્ષના દિકરાની બાધા પુરી કરવા મુળ વતન રાજસ્થાન ખાતે ગયો હતો. બાધા પુરી કરી પરત ફરતા ઘરે પહોંચે તે પહેલાં જ યમરાજે દસ્તક દીધી હતી.
ઘરથી માત્ર 13 કી.મી.ના અંતરે જ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં માતા-પુત્રી સહિત ભત્રીજીનું ઘટના સ્થળે દર્દનાક મોત મળ્યું છે. બનાવ એટલો ભયાનક અને વિચલિત હતો કે મૃત્યુ પામેલી એક કિશોરીનું તો ધડ શરીરથી અલગ હતું. જ્યારે આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓ ઘવાયા હતા.
દર્દનાક બનાવમાં મૃત્યુ પામેલા ટીશાબેન હરીશભાઈ સોની, જીકીશાબેન હરીશભાઈ સોની (માતા-પુત્રી) તથા નૈયનાબેન નારણભાઈ સોની (ભત્રીજી) એમ ત્રણેયની અંતિમયાત્રા બીજા દિવસે બપોરે મહોળેલ ખાતેથી એકીસાથે નીકળી હતી. આ દ્રશ્ય જોઈ સૌ કોઈના હદયકંપી ગયા હતા. આ અંતિમયાત્રામાં સોની પરિવારના સ્વજનો, ગ્રામજનો સહિત અનેક લોકો જોડાયા હતા. આ સમયે હૈયાફાટ આક્રંદ સાથે વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું. ગ્રામજનો સોની પરિવારને હિંમત આપી તેમના પડખે ઊભા રહ્યા છે.
સોની પરિવારની દુકાન મુખ્ય બજારમાં આવેલ હોઇ હરીશભાઇ સ્થાનિક વેપારી ઓ સાથે મિત્રતા હતી. તેઓ નો પરિવાર જ્યારે ચૌલક્રિયા માટે મહોળેલ થી નીકળ્યો ત્યારે પણ બધાં મિત્રો સાથે હસતા હસતા વિદાય લીધી હતી. પરંતુ કોને ખબર હતી કે 376 કિમી. દૂર ચૌલક્રિયા પૂર્ણ કરીને પરત આવતા સમયે આ પ્રકારની કરૂણ ઘટના સર્જાતા આ ઘટનાને પગલે બજારના સૌ વેપારીઓએ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.