ભગવાનનાં રથ નિજ મંદિર પરત ફર્યા છે. 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સમય પહેલા જ સંપન્ન થઈ..
અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
હાલમાં ત્રણેય રથ દરિયાપુર પહોંચ્યા છે. માત્ર બે કલાકમાં પોણી રથયાત્રા પુરી થઈ ગઈ છે. કોટ વિસ્તારમાં ચુસ્ત કરફ્યુ જોવા મળી રહ્યો છે. ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યાં છે જ્યાં બહાર પ્રદીપસિંહ જાડેજાએ રથનું સ્વાગત કર્યું હતું. 10.46 વાગે પહેલો રથ જગન્નાથજીનો પરત આવ્યો ત્યારબાદ 10.49 વાગે સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામનો રથ 10.51 વાગે મંદિરમાં પરત આવ્યો છે. આ સાથે જ રથયાત્રા વહેલી પુરી થતા 11.30 વાગ્યાથી અમદાવાદ કેટલાક વિસ્તારમાં લાગેલ કરફ્યુ હટાવાશે આ પહેલા 2 વાગ્યા સુધીનો કરફ્યુ હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. જેને લઈને ખાસો વિવાદ થયો હતો.
રથનું પ્રસ્થાન કરાવ્યા બાદ મુખ્ય મંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. ભગવાન આશિર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી જલ્દી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોના મુક્ત બને તેવા પ્રકારના ભગવાન પાસે આશિર્વાદ માંગીએ. આજે કચ્છીઓનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. જેમને ખૂબ ખૂબ શુભકામના