પાણી પુરી ની લારી ઉપર તંત્ર દ્વારા ચેકિંગ થશે, કારણ જાણો…
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતાં જ સ્વાદરસિકો તેમની ફેવરિટ પાણીપૂરી પર તૂટી પડ્યા છે. ખાસ કરીને મોટાં શહેરોમાં ખુમચાની રોડ પરની પાણીપૂરી ખાવા તો લાઈનો લાગી રહી હતી. આ સમયે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાણીપૂરીની લારી, ખુમચા અને દુકાનોમાં ખાસ ચેકિંગ શરૂ કરી અખાદ્ય જથ્થાનો નાશ કરવાની સાથે સૌપ્રથમ વખત ખાસ ‘પેથોજેનિક બેક્ટરિયોલોજિકલ ટેસ્ટિંગ’ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, પાણીપૂરી અને મસાલાના નમૂના ખાસ આઇસ બોક્સમાં રાખીને વડોદરાની લેબમાં મોકલાઈ રહ્યા છે.
પાણીપૂરીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પડ્યા રાજ્યના ખોરાક નિયમન તંત્ર દ્વારા પાણીપૂરીને કારણે ફેલાતા રોગચાળાને નિયંત્રણમાં લેવા રાજ્યના તમામ શહેરી,એટલે કે આઠ કોર્પોરેશન વિસ્તારમાં ખાસ ડ્રાઇવ ચલાવવા સૂચના આપવામાં આવી છે. પાણીપૂરીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે,એમાં પણ રોડ પર વેચાતી પાણીપૂરીના ધંધાર્થીઓ સિવાય પાણીપૂરીના જાણીતા દુકાનદારોને ત્યાં ચેકિંગ કરીને ખાસ ‘પેથોજેનિક બેક્ટરિયોલોજિકલ ટેસ્ટિંગ’ કરવામાં આવી રહ્યો છે.
4 હજારથી વધુ દુકાનોમાંથી નમૂના લેવાયા રાજ્યના ફૂડ તંત્ર દ્વારા રાજ્યનાં મોટા શહેરોની 4 હજારથી વધુ પાણી પૂરીની દુકાનો જાણીતી દુકાનોમાંથી અલગ અલગ નમૂનાઓ લેવામાં આવ્યા છે. જે અંગે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાણીપૂરીની સામગ્રી અને એના પાણીમાં બિનઆરોગ્યપ્રદ તત્ત્વો અવારનવાર મળતાં હોય છે,પરંતુ સામગ્રી હાઇજેનિક હોય છતાં માલ અને પાણીની ગુણવત્તાથી પાણીપૂરી ખાનારા લોકો બીમાર પડતા રહે છે.
ખાસ ફ્રીઝરમાં નમૂનાઓ વડોદરા મોકલાઈ રહ્યા છે સૌપ્રથમ વખત પેથોજેનિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દુકાનદાર કે પાણીપૂરી બનાવતા કારીગરો જો પોતે સ્વસ્થ, સ્વચ્છ ન હોય અને ગંદા હાથે કે ગંદી વ્યવસ્થાને કારણે પાણીપૂરી બિનઆરોગ્યપ્રદ બનતી હોય તો એનું પણ પરીક્ષણ થઇ જશે. નમૂનાઓ લઇને એ જ દિવસે વડોદરા લેબોરેટરીએ પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ ફ્રીઝર જેવા આઇસ બોકસમાં આ સેમ્પલ સાચવીને રવાના કરવામાં આવી રહ્યા છે